સાતમું પગારપંચ રેડી, થોડાક ફાયદાની સાથે થોડુંક નુકસાન પણ

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચ દ્વારા મોટો ફાયદો કરી આપવામાં આવે તેવા અણસાર જોવા મળે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, પગારવધારો 15થી 20% વચ્ચે રહેવાની સંભાવના છે. આ કોઈ મોટો લાભ નથી પરંતુ કેન્દ્રીય કર્મચારીઓના લાભની વાત એ છે કે, તેમનાં મૂળ વેતનને વધારીને 15 હજાર કરવામાં આવી શકે છે, આ સાથે મોટી ખબર એ છે કે, પગારપંચ કેન્દ્રીય કર્મચારીઓનો મહત્તમ કાર્યકાળ હવે 33 વર્ષનો કરી શકે છે, જે કર્મચારીઓ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સાતમા પગારપંચે આ મામલે વિચાર-વિમર્શની પ્રક્રિયા પૂર્ણ કરી  છે, એટલું જ નહીં, તે પોતાની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી ગયું છે. જાણવા મળી રહ્યું છે કે, આગામી બે મહિનાની અંદર પંચ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દેશે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, છઠ્ઠા પગારપંચમાં મળેલા વધારા બાદ હવે એટલા મોટા વધારાની આશા રાખી શકાય તેમ નથી. લઘુતમ વેતન 15,000 થવાથી નાના કર્મચારીઓને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા પગારપંચમાં લઘુતમ વેતનને 3,050 રૂપિયા વધારીને 7,730 રૂપિયા કરવામાં આવ્યું હતું.

પગારપંચની મહત્ત્વપૂર્ણ ભલામણ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના સેવાકાળમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, હવે તેમનો સેવાકાળ 33 વર્ષનો નિર્ધારિત કરવામાં આવશે, જેનો અર્થ એ થયો કે, જો કોઈ કર્મચારી 20 વર્ષની વયે સરકારી નોકરી શરૂ કરે તો તે 53 વર્ષે સેવાનિવૃત્ત થશે. આ સિવાય અન્ય લોકો માટે સેવાનિવૃત્તિની વય 60 વર્ષ રાખવામાં આવશે. વૈશ્વિક નાણાકીય સેવા કંપની ડીબીએસના એક રિપોર્ટ મુજબ, સાતમા પગારપંચનો મોટાભાગનો બોજો આગામી નાણાકીય વર્ષ 2016-17 દ્વારા વહન કરવામાં આવશે. ડીબીએસનું કહેવું છે કે, સાતમું પગારપંચ લાગુ થવાથી કર્મચારીઓનાં વેતન-ભથ્થાંમાં 16% વધારો થઈ શકે છેhttp://www.sandesh.com