પ્રિ-રિક્રૂટમેન્ટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પૂર્વ ભરતી લાયકાત પરીક્ષાથી રાજ્યના લાખો સરકારી નોકરીવાંચ્છુ યુવાનોને વારેઘડીએ ભરતી પરીક્ષાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

ગુજરાત સરકારમાં છેલ્લા ૨૪ મહિનાથી ફાઈલોમાં સચવાયેલી પ્રિ- રિક્રૂટમેન્ટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે 'પ્રીત' હવે બહાર આવશે. આગામી ત્રણ વર્ષમાં કરવાની ૬૬ હજારની ભરતી વર્ષ ૨૦૧૬-૧૭માં પૂર્ણ કરી લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. આથી, સામાન્ય વહીવટ વિભાગે સમાન પ્રકારની ભરતી પરીક્ષાઓને બદલે ફેબ્રુઆરી '૧૪માં જાહેર કરલી 'પ્રીત' ટેસ્ટ લઈને નવા કર્મચારીઓની શોધ અને નિયુક્તિઓ થશે.
   ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળોથી લઈને વિભાગીય ભરતી સમિતિઓ જેવી અનેક એજન્સીઓ દ્વારા નવા અધિકારીઓ, કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા યોજાય છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી આવી એજન્સીઓની પારદર્શકતા સામે સવાલો ઉઠયા છે. ગ્રેસિંગ- સેટીંગકાંડના વિવાદો હાઈકોર્ટ પહોંચ્યા છે. પેપર ફુટવાની ઘટનાઓ પછી પરીક્ષાઓ રદ કરીને ફરીથી યોજવી પડી છે. આવી ગરબડોને કારણે વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીઓ પહેલા થનારી ૬૬ હજાર સરકારી નોકરીઓની ભરતી સ્વચ્છ, પારદર્શકપણે યોજાય તે હેતુસર સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા 'પ્રીત'ના વાસ્તવિક અમલ માટે સરકાર આગળ વધી રહી છે. ૬૬ હજાર નવી જગ્યામાંથી જે કેડર એકસમાન હોય તેની અલગ તારવણી કરીને અલગ અલગ એજન્સીઓની ભરતી પરીક્ષાને બદલે માત્ર એક 'પ્રીત'ને આધારે ભરતી કરાશે.
   પ્રિ-રિક્રૂટમેન્ટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પૂર્વ ભરતી લાયકાત પરીક્ષાથી રાજ્યના લાખો સરકારી નોકરીવાંચ્છુ યુવાનોને વારેઘડીએ ભરતી પરીક્ષાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. માત્ર એક પરીક્ષા પાસ કર્યે, તેમાં અગ્રતાક્રમે આવવાથી સરકારી નોકરી માટે તક પ્રાપ્ત થશે. બીજી તરફ ક્લાસ વન-ટુ અને ખાસ તકનીકી સંવર્ગો માટે ભરતી કરતી એજન્સીઓ ઉપર પણ ભારણ ઘટશે.