ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 30મી મેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાશે

# એ ગ્રૂપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા મેરિટ નીચું જશે

નવગુજરાત સમય > અમદાવાદ
- ધો.12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આગામી તા.30મી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરાયુ છે. આ વખતે ત્રણ નવી કોલેજોને મંજુરી આપવામાં આવતાં કુલ 900 બેઠકોનો વધારો થયો છે. આ વધેલી બેઠકો સાથે કુલ 70649 બેઠકો માટે આ વખતે કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગમાં 28 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આમછતાં આ વખતે ત્રણ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી છે. જેના લીધે ખાલી બેઠકોનો આંકડો 30 હજાર સુધી પહોંચે તેવી શકયતાં છે. એ ગ્રૂપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી હોવાના કારણે મેરિટ નીચું જાય તેવી શકયતા છે. પ્રવેશ સમિતિ એ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે 4 ઓગસ્ટથી કોલેજો શરૂ કરવામાં આવશે.

પ્રવેશ સમિતિએ પ્રવેશના નિયમો જાહેર કરી દીધા છે. ચાલુ વર્ષે ઇજનેરીમાં જે પ્રમાણે બેઠકો વધી છે તેની સામે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે એ ગ્રૂપમાં 72 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 67 હજાર પાસ થયા હતાચાલુ વર્ષે એ ગ્રૂપમાં માત્ર 71 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેની સામે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 57 હજાર જેટલી થાય છે. આમ, બેઠકોની સામે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે મેરિટ નીચું જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. એ ગ્રૂપનું પરિણામ પણ ઓછું અને પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોવાના કારણે ખાલી પડનારી બેઠકોનો આંકડો વધશે. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા પ્રવેશના નિયમો પ્રમાણે ચાલુ વર્ષે પણ પર્સન્ટાઇલ પ્રમાણે જ કોમન મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમાં ધો.12માં વિદ્યાર્થીઓને મેળવેલા પર્સન્ટાઇલના 60 ટકા અને જેઇઇમાં વિદ્યાર્થીઓએ મેળવેલા પર્સન્ટાઇલના 40 ટકા પ્રમાણે કોમન મેરિટ તૈયાર કરવામાં આવશે